Saturday, January 31, 2026

Friday, June 5, 2020

દોસ્ત સારો કે ખરાબ નથી હોતો, દોસ્ત દોસ્ત હોય છે!

દોસ્ત, દોસ્તાર, મિત્ર, યાર, ભાઇબંધ, બહેનપણી, સહેલી, ફ્રેન્ડ, સખો અથવા તો ગમે તે કહો, એ એક એવી વ્યક્તિ છે જે આપણા દિલની સૌથી નજીક હોય છે. બે ઘડી વિચાર કરો કે મિત્ર ન હોત તો? આ જિંદગી જીવવા જેવી જ ન હોત! આજકાલ ફ્રેન્ડ માટે સોશિયલ મીડિયા પર કંઇ લખતી વખતે ત્રણ શબ્દો બહુ વપરાય છે, પાર્ટનર ઇન ક્રાઇમ. મિત્ર કે બહેનપણી સાથે અમુક કારનામાં એવાં કર્યાં હોય છે, જે આખી જિંદગીનું અમૂલ્ય સંભારણું બની જાય છે. આપણી કુટેવો અને વ્યસનો માટે મોટા ભાગે આપણા દિલોજાન દોસ્તો જ જવાબદાર હોય છે, જે વાત માણસ કોઇને ન કરી શકે એ દોસ્તને કહી શકે છે.
દોસ્ત આપણો મૂડ પારખે છે. આપણે જરૂર હોય ત્યારે એને બોલાવવા પડતા નથી, એ આવી જ જાય છે. માણસ મિત્ર પાસે જ હળવો થઇ શકે છે. એની સાથે ગમે તે ભાષામાં વાત કરી શકાય છે. તેની સાથે ગાળો બોલવી સહજ છે. દોસ્તીમાં કોઇ જ શરમ આડે આવતી નથી. એ આપણને ખખડાવી શકે છે અને ફોસલાવી શકે છે. માણસને ઓળખવા માટે એમ કહેવાય છે કે, કોઇ કેવો છે એ જાણવું હોય તો એના મિત્રો કોણ છે એની તપાસ કરો. અલબત્ત, દરેક વખતે આ વાત સાચી જ હોય એવું જરૂરી નથી. દોસ્તી દરેક વખતે સ્ટેટસ જોઇને થતી નથી. દોસ્તીમાં ગરીબી કે અમીરી આડે આવતી નથી. એમાં પણ જે દોસ્તી બચપણની છે એની તો વાત જ નિરાળી હોય છે. મોટા થયા પછી માણસ હજુયે દોસ્તી બાંધતા પહેલાં વિચારતો હોય છે. બચપણની દોસ્તી તો એ સમયની હોય છે જ્યારે દોસ્તી એટલે શું એની પણ ખબર હોતી નથી. એ તો બસ થઇ જાય છે. અચાનક કોઇ ગમવા માંડે છે. એની સાથે મજા આવવા લાગે છે. એની વાતો સ્પર્શે છે. એની સાથે રખડવું ગમે છે. એની સામે કોઇ ફરિયાદ હોતી નથી. ક્યારેક નારાજગી થાય છે, પણ એ થોડા સમય પૂરતી જ હોય છે.
કોની દોસ્તી ચડે? કૃષ્ણ અને સુદામાની કે કર્ણ અને દુર્યોધનની? કર્ણને એ વાતની ખબર હતી જ કે મારો દોસ્ત દુર્યોધન કેવો માણસ છે! એ ગમે એવો હતો, એનામાં સો દોષ હતા, પણ એ મિત્ર હતો એટલે કર્ણે એનો સાથ છોડ્યો ન હતો. આપણી જિંદગીમાં પણ એવું બનતું હોય છે. અચાનક જ આપણો સારો મિત્ર અવળે રસ્તે ચડી જતો હોય છે. ક્યારેક ભૂલથી, ક્યારેક અકસ્માતે તો ક્યારેક ઇરાદાપૂર્વક એ ખોટી દિશામાં દોરવાઈ જાય છે. માણસ બદલે એટલે દોસ્તી પણ બદલતી હોય છે, પણ અમુક કિસ્સાઓમાં મિત્ર બદલતો નથી. એક સાવ સાચી ઘટના છે. બે મિત્રો હતા. બંને વચ્ચે ગાઢ દોસ્તી. નાનપણથી સાથે મોટા થયા હતા. એક મિત્રથી એક વખતે સિરિયસ ક્રાઇમ થઇ ગયો. એને જેલમાં જવું પડ્યું. તેનો ગુનો એવો હતો કે તેના પરિવારજનોને પણ નીચાજોણું થાય. ઘરના સભ્યો પણ તેનાથી દૂર થઇ ગયા. ખરાબ પરિસ્થિતિમાં પણ તેના મિત્રએ તેનો સાથ ન છોડ્યો. એ પોતાના મિત્રને જેલમાં ટિફિન આપવા જતો. એક સમયે એ મિત્રના બીજા મિત્રએ કહ્યું કે, તું શું કરે છે? હજુ તેં એની સાથે દોસ્તી રાખી છે? એ મિત્રે કહ્યું કે, તો શું હું એને છોડી દઉં? એણે ગુનો કર્યો છે. કાયદો એને એની સજા આપશે. હું શા માટે એને સજા આપું? એ મારો મિત્ર છે. મારી સાથે હસ્યો છે. મારી જોડે રડ્યો છે. દુનિયા માટે એ ખરાબ માણસ હશે, મારા માટે એ મિત્ર છે. મિત્ર સારો કે ખરાબ હોતો નથી. દોસ્ત દોસ્ત હોય છે. એ જેવો હોય એવો સ્વીકારવાનો હોય છે. જરૂર હોય ત્યારે જો આપણે ન હોઇએ તો એ દોસ્તી કેવી? અત્યારે તેની સાથે કોઇ નથી. મારી તેને સૌથી વધુ જરૂર છે. હું પણ ભાગી જાવ તો દોસ્તી લાજે. એણે ખોટું કર્યું છે એની ના નહીં, પણ મારા માટે એ ગૌણ છે. દોસ્તીથી વધુ કંઇ જ હોઈ ન શકે. દોસ્તીમાં ગણતરી હોતી નથી.
જેને સારા મિત્રો હોય છે એને ડિપ્રેશન આવતું નથી. પેલો જોક સાંભળ્યો છે? એક મિત્ર મુશ્કેલીમાં હતો. મિત્રોને વાત કરી તો એ બદમાશોએ એવા એવા રસ્તા બતાવ્યા કે મૂળ મુશ્કેલી જ ભુલાઇ ગઇ. હવે બીજી એક સાવ સાચી ઘટના. એક લેખક મિત્રની આ વાત છે. એને ડિપ્રેશન જેવું લાગતું હતું. એક મનોચિકિત્સકની તેણે મદદ લીધી. મનોચિકિત્સકે પૂછ્યું, તમારા મિત્રો કોણ છે? એ બુદ્ધિજીવી લેખકે કહ્યું કે, મારા બધા મિત્રો માથાફરેલા છે. એ રોજ સાંજે ભેગા થાય છે અને માથામેળ વગરની વાતો કરે છે. ડોક્ટરે કહ્યું કે, તમે એ લોકોને મળો અને એની સાથે ઇન્વોલ્વ થાવ. એક વાત યાદ રાખજો, તમારી બુદ્ધિને બાજુએ રાખજો. એ લોકો જેવા થઇને રહેજો. એ મિત્રએ ખરેખર એ પ્રયોગ કર્યો. પોતાના કામ અને નામનો ભાર રાખ્યા વગર એ લોકો સાથે ગપ્પાં અને ઠઠ્ઠા મશ્કરી કરતો. એણે પોતે કબૂલ્યું કે, મને એનાથી બહુ ફેર પડ્યો છે. દરેક પાસે એક ‘નોનસેન્સ ફ્રેન્ડસર્કલ’ હોવું જોઇએ. એ આપણને હળવા રાખે છે. જેને સારા મિત્રો નથી એ સૌથી કમનસીબ ઇન્સાન છે, જેની પાસે મિત્રો છે છતાં એ એનાથી દૂર રહે છે એ મૂર્ખ છે, જે સાચી મિત્રતા માણે છે એના જેવો સુખી બીજો કોઇ નથી. આજે ફ્રેન્ડશિપ ડે છે. ભલે આજે એક દિવસ દોસ્તીનો દિવસ કહેવાતો હોય, બાકી તો મિત્ર સાથે હોય એ બધા જ દિવસ ફ્રેન્ડશિપ ડે જ છે. હેપી ફ્રેન્ડશિપ ડે! 

બધાને ક્યાં બધી જ વાત કહી શકાય છે?

તમારી જિંદગીની કઈ વાત એવી છે જે તમે ક્યારેય કોઈને કહી નથી? આ પ્રશ્ન કરતાં પણ વધુ મહત્ત્વનો સવાલ એ છે કે, તમે કેમ કોઈને આ વાત કહી નથી? કયો ડર તમને સતાવે છે? વાત જાહેર થઈ જવાનો કે પછી તમારી વાત નહીં સમજે એનો? દરેકને કંઈક કહેવું હોય છે. બધું ક્યાં સોશિયલ મીડિયા પર લખી શકાતું હોય છે? આપણા બધાંના દિલમાં કંઈક એવું હોય છે જે બહાર આવવા ઉછાળા મારતું હોય છે. આપણે ટાપલી મારીને એને પાછું બેસાડી દઈએ છીએ. કોઈને નથી કહેવું! કોઈને શું ફેર પડે છે? કોઈને ક્યાં કંઈ પડી પણ હોય છે? ક્યારેક તો દિલ એટલું ભારે થઈ જાય છે કે, શ્વાસ ફૂલી જાય છે. ન કહેવાયેલી વાતો ક્યારેક આંખોમાં ભેજ બનીને તરવરે છે. કોઈ દિવસ ખોટું બોલતા ન હોવાનો દાવો કરનાર માણસ પણ જ્યારે કોઈ પૂછે કે કેમ છો? તો ખોટું બોલી દેતો હોય છે કે, મજામાં છું!
બે મિત્રો હતા. લાંબા સમય પછી બંને મળ્યા. એક મિત્રએ પૂછ્યું, કેમ છે? બીજા મિત્રએ કહ્યું, મજામાં છું! એ મિત્ર મજામાં ન હતો. ઘરેથી નીકળ્યો ત્યારે પત્નીએ કહ્યું હતું કે, તારો અંગત મિત્ર છે. તારા મનની દરેક મૂંઝવણની ખુલ્લા દિલે વાત કરજે. પતિએ હા પાડી હતી. મિત્રને મળીને રાતે પતિ ઘરે આવ્યો. પત્નીએ પૂછ્યું, કેવું રહ્યું? તેં તારા દિલની બધી વાત કરી? પતિએ કહ્યું, ના! પત્નીએ પૂછ્યું, કેમ? પતિએ કહ્યું, એણે મને પૂછ્યું કે કેમ છે? મેં કહ્યું કે મજામાં છું! એણે માની લીધું કે હું મજામાં છું! દરેક માણસ ઇઝીલી ઓપન અપ નથી થઈ શકતો! આપણે પણ આપણા નજીકના લોકો વિશે કેટલું બધું માની કે ધારી લેતા હોઈએ છીએ? એને શું વાંધો છે? એ તો મજામાં જ હોય ને! દરેક માણસને ખૂલવા માટે એક સ્પેસ જોઈતી હોય છે. એક અદૃશ્ય પડદો હોય છે જે હળવા હાથે હટાવવો પડે છે. ચહેરો વાંચવો પડે છે. તમને તમારી વ્યક્તિનો ચહેરો વાંચતા આવડે છે? જો આવડતું હોય તો માનજો કે તમને દિલની ભાષા ઉકેલતા આવડે છે! દિલની ભાષા અઘરી નથી. બસ, એમાં માત્ર દિલનો ઉપયોગ કરવો જોઈએ. આપણે દિલ કરતાં દિમાગને વધુ વાપરીએ છીએ.
જે માણસ પોતાના દિલની વાત કોઈને કહી શકતો નથી અથવા તો દિલની બધી જ વાત કહી શકાય એવી વ્યક્તિ જેની પાસે નથી એ દુનિયાનો સૌથી દુ:ખી અને કમનસીબ માણસ છે. હળવા થવા માટે ઠલવાવવું પડે છે. એક માણસની આ વાત છે. એ એક સાયકિયાટ્રિસ્ટ પાસે ગયો. ડોક્ટરે તેને પૂછ્યું, શું તકલીફ છે? પેલા માણસે કહ્યું, તકલીફ તો મને ખબર નથી. હું તમને મારે જે વાત કરવી છે એ કહું છું. તમે ડોક્ટર છો, તમે મારી તકલીફ શોધી લેજો. આવું કહી પેલા માણસે દિલની બધી જ વાત કરી. મનોચિકિત્સકે બધી જ વાત સાંભળી. વાત પૂરી થઈ એટલે પેલા માણસે પૂછ્યું, તમને કોઈ તકલીફ જણાઈ? મનોચિકિત્સકે કહ્યું, હા! પેલા માણસે પૂછ્યું, શું? મનોચિકિત્સકે કહ્યું, એક એવો મિત્ર શોધી લો જેને તમે તમારા દિલની બધી જ વાત કરી શકો. પેલો માણસ એકીટસે ડોક્ટર સામે જોઈ રહ્યો. ડોક્ટરનું નિદાન એકદમ સાચું હતું. તેને કોઈ મિત્ર નહોતો! પેલા માણસને પહેલી વખત સમજાયું કે, મિત્ર ન હોવો એ બીમારી તો નથી, પણ બદનસીબી તો છે જ!
એ માણસે ડોક્ટરને કહ્યું, કોઈ માથે ભરોસો નથી બેસતો! ડોક્ટરે પૂછ્યું, તમે કઈ રીતે અહીં આવ્યા છો? પેલા ભાઈએ કહ્યું, મારી કાર લઈને! અચ્છા, તમને કાર ઉપર ભરોસો હતો કે નહીં? એવું કેમ ન લાગ્યું કે આ કાર એક્સિડન્ટ કરશે તો? એક્સિડન્ટના ડરે આપણે કાર ચલાવવાનું તો નથી છોડતા, તો પછી કંઈક થવાના ભયે આપણે કેમ કોઈના માથે ભરોસો મૂકી શકતા નથી? ક્યારેક તો માણસ એટલા માટે કોઈને પોતાના દિલની વાત કરી શકતો નથી, કારણ કે એણે ક્યારેય કોઈના દિલની વાત સાંભળી હોતી નથી! તમે એની સાથે જ બધી વાત શેર કરી શકો જે પોતાની બધી જ વાત તમારી સાથે શેર કરે છે! માણસ જેમ વધુ ને વધુ આધુનિક બની રહ્યો છે એમ વધુ ને વધુ ગૂંગળાઈ રહ્યો છે. હવે વાતો માત્ર કહેવાતી નથી, વાઇરલ પણ થઈ જાય છે! મેસેજ કરતા પણ માણસ ડરવા લાગ્યો છે. સ્ક્રીનશોટ ફરવા લાગશે તો? કોલ રેકોર્ડ થતો હશે તો? કોઈને દિલની વાત કહી હોય એ ક્યારેક સોશિયલ મીડિયાની દીવાલ પર ચીપકી જાય છે. હવે વિશ્વાસઘાત પણ ડિજિટલ થઈ ગયો છે. કમ્યુનિકેન વધ્યું છે, પણ કમિટમેન્ટ ઘટ્યું છે.
ક્યારેક જિંદગીમાં એવી વ્યક્તિ પણ આવી જાય છે, જેની પાસે દિલને છુટ્ટો દોર મળે છે. એક છોકરાની આ વાત છે. તેને એક દોસ્ત મળી. પહેલા તો બહુ ફોર્મલ વાત કરી. એક દિવસ છોકરીએ કહ્યું, તું બહુ બધું ધરબીને જીવે છે. મને કહે, શું ચાલે છે તારા દિલમાં? ભરોસો રાખજે, તેં કહેલી વાત ક્યાંય બહાર નહીં જાય! એ છોકરાએ એક-બે વાત કરી. ઘણી વખત માણસ ભરોસો મૂકતા પહેલાં ટેસ્ટિંગ કરતા હોય છે. આ વ્યક્તિ પેટમાં વાત સંઘરી શકે છે કે કેમ? તેની મિત્રએ એ વાત કોઈને ન કરી. છોકરાને પોતાની દોસ્ત ઉપર ભરોસો બેસી ગયો. એ પછી એ નાનામાં નાની વાતથી મોટામાં મોટી વાત એને કહેવા લાગ્યો. વાત કરીને એને બહુ સારું લાગતું. એવું થતું કે, જિંદગીમાં એક એવી દોસ્ત મળી છે જેને બધી વાત કહી શકાય છે! થોડા સમયમાં છોકરીની પસર્નલ લાઇફના ઇસ્યૂઝના કારણે એ તેના દોસ્તથી દૂર થઈ ગઈ. છોકરાને હવે દિલની વાતો કરવાનું મન થતું! દોસ્ત પાસે બીજી કોઈ અપેક્ષા ન હતી! અમુક વાત અમુક વ્યક્તિને જ કહેવાની આપણને આદત પડી ગઈ હોય છે. એ વ્યક્તિ દૂર જાય ત્યારે એક જુદા જ પ્રકારનો ખાલીપો સર્જાય છે. એવો ખાલીપો જે કોઈ હિસાબે પૂરાતો નથી. મનમાં ને મનમાં તેની સાથે વાતો ચાલે છે કે આજે આવું થયું! આજે તેવું થયું!
દોસ્ત દૂર ચાલી ગઈ એટલે એ છોકરાને થયું કે, બીજું કોઈ તો છે નહીં, હવે દિલની વાત કોને કરું? તેણે એક આઇડિયા કર્યો. પથ્થરની એક મૂર્તિ બનાવી. એ મૂર્તિને પેલી દોસ્તનું નામ આપ્યું. દરરોજ એ મૂર્તિ સામે બેસીને બધી વાત કરી દે. આવું કરવાથી તેને થોડીક હળવાશ લાગતી હતી. થોડા સમય બાદ એની દોસ્ત અચાનક જ એક જગ્યાએ તેને મળી ગઈ. તેણે પૂછ્યું, તારા દિલની બધી વાત તું કોઈને કહી દે છે ને? છોકરાએ કહ્યું, હા કહી દઉં છું? છોકરીએ પૂછ્યું, કોને? છોકરાએ કહ્યું, પથ્થરની એક મૂર્તિ બનાવી છે એને! છોકરીએ કહ્યું, ચાલ સારું છે. કંઈક તો છે જેને તું બધી વાત કરી શકે છે! છોકરાએ કહ્યું, સાચી વાત છે. પ્રોબ્લેમ માત્ર એક જ છે, મૂર્તિ જવાબ નથી આપતી! વાત સાંભળીને સાંત્વના નથી આપતી! તેની દોસ્ત બધી વાત સમજી ગઈ. આપણે માત્ર વાત કહેવી હોતી નથી, કંઈક જોઈતું હોય છે. ક્યારેક સાંત્વના, ક્યારેક સલાહ અને ક્યારેય એક હળવો સ્પર્શ! વાત સાંભળીને કોઈ હાથ હાથમાં લઈને સહેજ થપથપાવે ત્યારે સંવેદનાઓને પણ શાતા મળતી હોય છે.
સંવેદનાઓ ક્યારેક ઉગ્ર બની જતી હોય છે. એને છલકવા માટે કાંઠો જોઈતો હોય છે. દરિયો ભલે ગમે એટલો વિશાળ હોય, પણ એનેય કાંઠો તો હોય જ છે! ઘણા માણસો દરિયા જેવા હોય છે, ઘણું સાચવીને, સંઘરીને બેઠા હોય છે. સાચવવાનો અને સંઘરવાનો પણ એક સંતાપ હોય છે. ક્યારેક સનેપાત ઊપડે છે. દરિયાકિનારો કદાચ એટલે જ માથાં પટકતો હોય છે, કારણ કે મધદરિયાનો ઉકળાટ એનામાં વલોપાત સર્જતો હોય છે! દરેક માણસમાં એક અદૃશ્ય વલોપાત ચાલતો રહે છે. એને જો કિનારો મળી જાય તો હળવાશ વ્યાપી જાય છે.
ક્યારેક કોઈ આપણી વાત કોઈને કહી દે ત્યારે આપણી સાથે વિશ્વાસઘાત થયો હોય એવી લાગણી થાય છે. આવું થાય ત્યારે માણસ ‘પેક’ થઈ જાય છે. કોઈને કંઈ વાત કહી નથી શકતો. ડિપ્રેશનનું એક કારણ બધું દિલમાં ધરબી રાખવાનું પણ હોય છે. અંદરનો વલોપાત માણસને અસ્તવ્યસ્ત કરી નાખે છે. વ્યક્ત નથી થઈ શકતા એ વલોવાતા રહે છે. દરેક માણસનું થોડુંક ‘ખાનગી’ હોય છે. એ પણ એણે શેર તો કરવું જ હોય છે. તમને કોઈ માણસ એની અંગત વાત કરે છે? કરતા હોય તો માનજો કે તમે એનું ‘લોકર’ છો! એવું લોકર જેની એક ચાવી તમારી પાસે છે અને એક એની પાસે. આ લોકર ક્યારેય ખુલ્લું મુકાઈ ન જાય એની તકેદારી રાખવાની જવાબદારી આપણી હોય છે. એક વખત જો લોકર ખાલી થઈ ગયું તો પછી એમાં ક્યારેય કોઈ વાત આવશે નહીં. સિક્રેટ્સ સલામત રહેવા જોઈએ. કાને આવેલી વાત મોઢામાંથી બહાર આવવી ન જોઈએ, પણ દિલમાં ઊતરીને એક ખૂણામાં સચવાઈ જવી જોઈએ.
આદરપાત્ર હોવા માટે ભરોસાપાત્ર હોવું જરૂરી છે. આપણને કોઈ એની અંગત વાત કરતું ન હોય તો સમજવું કે આપણામાં કોઈ કમી છે. ભરોસો મૂકવા માટે ભરોસો કરવો પણ પડે છે. વ્યક્ત થતાં શીખો. માણસને ઓળખવા માટે પણ એ જરૂરી છે. દુનિયામાં એવા લોકો છે જે ભરોસાપાત્ર હોય છે. ક્યારેક ખોટા માણસ મળી જાય એનો અર્થ એ નથી કે કોઈ ભરોસાપાત્ર નથી. બધાને બધી વાત નથી કહી શકાતી, પણ થોડાક લોકો ‘લોકર’ જેવા હોય છે. સાથોસાથ એ પણ વિચારવાનું હોય છે કે, હું કોઈના માટે કેટલો ભરોસાપાત્ર છું?

Saturday, March 21, 2020

આપણે વાત કરવાની કળા ભૂલતા જઈએ છીએ!

દરેક પાસે જિંદગીને માણી શકાય એટલું તો હોય જ છે. આપણે જે હોય છે એને એન્જોય કરતા નથી અને જે નથી હોતું એની પાછળ દોડતા
રહીએ છીએ. દોડતી વખતે આપણે વચ્ચે થાક ખાવા રોકાઈએ છીએ. જેને થાક ખાવાની મજા આવે છે એને જ દોડવાનો ઉત્સાહ રહે છે. આપણે જે કંઈ હોઈએ, આપણે જે કંઈ મેળવ્યું હોય છે, એને આપણે કેટલું માણીએ છીએ? એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. દાંપત્યજીવન પણ સરસ હતું. લગ્ન પછી પતિ આગળ ને આગળ વધતો જતો હતો. બધું એના વિચાર અને ઇચ્છા મુજબ ચાલતું હતું. ધીમે-ધીમે એ સફળતા પાછળ એવો દોડવા લાગ્યો કે, પત્ની અને ઘર તરફ તેનું ઓછું ધ્યાન રહેતું. એક દિવસ પત્નીએ સવાલ કર્યો.  આટલી બધી દોડધામ કેમ કરે છે? પતિએ જવાબ આપ્યો કે, આપણી પાસે છે એના કરતાં મારે ઘણું વધારે મેળવવું છે! પત્નીએ કહ્યું, પ્રેમમાં વધારો નથી કરવો? જો તેં બધું જ વધારે કરવાનું નક્કી કર્યું છે તો પ્રેમમાં વધારો કરવાનું પણ નક્કી કરને! આ ફરિયાદ નથી, ઇચ્છા છે! આપણો પ્રેમ તો ઘટતો જતો હોય એવું લાગે છે. તારી પાસે સાંનિધ્ય માટે સમય જ નથી! મારે પ્રેમ વધારવો છે, તું એમાં મને  સાથ આપીશ? પતિએ પત્નીની સામે જોયું. તેણે કહ્યું, આવો તો મને વિચાર જ નથી આવ્યો. તારી વાત સાચી છે. સારું થયું તેં મારું ધ્યાન દોર્યું. તને થોડા જ દિવસમાં મારામાં ચેન્જ લાગશે. આપણી જિંદગીમાં પણ આવું બનતું હોય છે. બેમાંથી એકનું ધ્યાન ક્યાંક બીજે  પરોવાઈ જાય છે. આપણે ત્યારે શું કરીએ છીએ? સીધા ઝઘડા કે નારાજગી પર પહોંચી જઈએ છીએ. તને હવે મારી કંઈ પડી નથી, મારા માટે તારી પાસે સમય જ નથી, બીજું મેળવવામાં તું મને ગુમાવી દઈશ. નક્કી કરી લે તારે કરવું છે શું? જ્યાં સંવાદ કરવાનો હોય ત્યાં આપણે સવાલો કરવા માંડીએ છીએ. સવાલ ન કરો, જવાબ શોધો, ઉકળાટ ન કરો, ઉકેલ મેળવો. માણસના દુ:ખનું સૌથી મોટું કારણ સમજણનો અભાવ જ હોય છે. આપણે જે જોઈતું હોય છે એના માટે આપણે મરણિયા થઈ જઈએ છીએ. હવે તો આ પાર કે પેલે પાર એવું નક્કી કરી લઈએ છીએ. આપણા મન અને મગજમાં ઉશ્કેરાટ છવાઈ જાય છે. તમને કોઈ પ્રોબ્લેમ છે, તો વાત કરો. તમને કોઈ મૂંઝવણ  છે તો દિલને ખુલ્લું મૂકો. આપણે વાત કરવાની કળા ભૂલતા જઈએ છીએ!

સમયનું ચક્ર ઘડિયાળના કાંટા સાથે

આજની તારીખ એ આવતી કાલની તવારીખ છે. સમયનું ચક્ર ઘડિયાળના કાંટા સાથે ફરતું રહે છે. દરેક ક્ષણ નવો શ્વાસ લઈને આવે
છે.  આપણામાં કંઈક ઉમેરાતું રહે છે. થોડુંક ઠલવાતું પણ રહે છે. ક્યારેક કંઈક દિલમાં કાયમ માટે સચવાઈ જાય છે, તો ક્યારેક કંઈક આંખમાંથી આંસુ બનીને વહી જાય છે. દરરોજ આપણી જિંદગીમાં થોડો થોડો ભૂતકાળ ઉમેરાતો જાય છે. અનુભવો, યાદો, સ્મરણો, હૂંફ,  તિરસ્કાર, ઝઘડા, નારાજગી, ઉદાસી, એકાંત, એકલતા, સાંનિધ્ય, સુખ, વેદના, વલોપાત, આશા, હતાશા, પ્રેમ, નફરતની કથાઓ જિંદગીમાં ઉમેરાતી જાય છે. દિલ અને દિમાગ વચ્ચે કશ્મકશ ચાલતી રહે છે. સારા અને નરસાના હિસાબો મંડાતા રહે છે. ફાયદા અને  નુકસાનની ગણતરીઓ થતી રહે છે. સુખ અને દુ:ખના વિચારો આવતા રહે છે. હરીફરીને થોડાક સવાલ પેદા થાય છે કે, હું ક્યાં છું? હું શું  છું? હું જે કરું છું એ બરાબર તો છે ને? મેં જે માર્ગ પકડ્યો છે એ સાચો તો છે ને?
માર્ગ સાચો હતો કે ખોટો એ તો મંજિલ આવે ત્યારે ખબર પડે! ઘણી વખત તો એવો પણ વિચાર આવે છે કે, મંજિલે પહોંચાશે તો ખરું ને? ક્યારેક કંઈક સાર્થક થાય ત્યારે એવો પણ વિચાર આવી જાય છે કે, આ મંજિલ છે કે એ મુકામ છે? એક યુવાનની આ વાત છે. નાનો હતો ત્યારે આંખમાં થોડાંક સપનાઓ આંજી રાખ્યાં હતાં. જિંદગીમાં આટલું તો કરવું જ છે. કરિયર, ઘર, જીવનસાથી સહિત અનેક સપનાંઓ તેણે સેવ્યાં હતાં. થયું એવું કે, નાની ઉંમરમાં જ તેનાં બધાં સપનાં સાકાર થઈ ગયાં. અભ્યાસમાં સારા માર્ક્સ આવ્યા. સારા પગારની નોકરી મળી ગઈ. ઘરનું ઘર પણ થઈ ગયું. પ્રેમ કરે એવી જીવનસાથી પણ મળી ગઈ. સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા પણ મળવા લાગી. અચાનક એને થયું કે, મેં વિચાર્યું હતું એ બધું તો થઈ ગયું, હવે શું? એ ડિસ્ટર્બ થઈ ગયો. પોતાની મૂંઝવણનું માર્ગદર્શન મેળવવા એ એક  ફિલોસોફર પાસે ગયો. યુવાને પોતાની બધી વાત કરી. છેલ્લે સવાલ કર્યો કે, મેં ધાર્યું હતું, મેં કલ્પ્યું હતું અને મેં જે ઇચ્છ્યું હતું એ બધું તો મને મળી ગયું, હવે મારે શું કરવું? ફિલોસોફરે કહ્યું, તારી પાસે બે રસ્તા છે. એક તો જે છે એને એન્જોય કર! બીજો રસ્તો એ છે કે, તારા સપનાને વિશાળ કરી દે. સપનાં સર્જવાં એ તો આપણા હાથની વાત છે. કદાચ તારે હજુ કંઈક કરવાનું હશે! ધ્યાન માત્ર એટલું જ રાખજે કે, સપનાને વિશાળ કરવામાં અને એ સપનાને પૂરું કરવામાં તું તારી પાસે જે છે એને એન્જોય કરવાનું ભૂલી ન જતો!